કોલેજ પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે જીકાસ દ્વારા અંતિમ પ્રવેશની તક
ભુજ - કચ્છઉદય : કચ્છ યુનિવર્સીટી ખાતે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ દરમ્યાન જે વિદ્યાર્થીઓ હજુ પણ પ્રવેશથી વંચિત હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટે વિવિધ કોલેજો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા વિદ્યાર્થી સંગઠનોની રજુઆતોને ધ્યાને લઇને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની જીસીએએસ દ્વારા વધુ એક તક આપવામાં આવેલ છે. જે કોલેજ - ભવનોમાં ખાલી બચેલ જગ્યાઓ પર વહેલા તે પહેલાના ધોરણે નિયમાનુશાર પ્રવેશ કોલેજો ફાળવી શકશે. આ પ્રક્રિયા ૧૪-૯ સુધી ચાલશે. ત્યારબાદ કોઈને પ્રવેશ મળવા પાત્ર થશે નહિ. જે વિદ્યાર્થીઓ એ ફોર્મ ભરેલ ન હોય કે ચોઈસ બદલવાની જરૂરીયાત હોય એ વિદ્યાર્થીઓ પણ જીકાસ વેબસાઈટ પર પોતાનું ફોર્મ ભરી કે એડિટ કરી ખાલી બેઠકો પર પ્રવેશ મેળવી શકશે. ફોર્મ ભર્યા બાદ જે કોલેજમાં પ્રવેશ લેવાનો હોય ત્યાં ડોક્યુમેન્ટ પણ વેરીફાય કરાવી ચોઈસ કન્ફર્મ ની પ્રોસેસ કરવાની રહેશે. આ બાબતે જો કોઈ લેઇટ ફી લાગુ હશે તો વિદ્યાર્થીઓ દ્વારા ભરવાની રહેશે. કુલપતિ ડો મોહન પટેલ, કુલસચિવ ડો અનીલ ગોરના સીધા માર્ગદર્શનમાં જીસીએએસ કોર્ડીનેટર ડો. અમર મહેતા, આનંદ સલાટ, વિરલ રાજગોર, સોયાબ સમા અને કોમ્પ્યુટર વિભાગ અને સમગ્ર કોલેજો ભવનોની ટીમો સમગ્ર એડમીશન પ્રક્રિયા પૂર્ણ કરવા જહેમત ઉઠાવી રહેલ છે. આ પ્રવેશ માટેની અંતિમ તક હોઈ વિદ્યાર્થીઓને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી નાખવા અપીલ કરવામાં આવેલ છે. અન્ય વિગતો માટે જીસીએએસની વેબસાઈટ જોવાની રહેશે.
----------

Comments